*
*
આજથી અર્ધાસૈકા પહેલાં,(50વર્ષ પહેલા) આજના દિવસે એટલેકે
તારીખ 13/05/1968 ના દિવસે હું લગ્નબંધનથી બંધાયો હતો.
આમતો સમવયસ્ક સહાધ્યાયી,જ્ઞાતિ મિત્રો પૈકીના ઘણા એ કન્યાનો હાથ માગી ચુક્યા હતા,.અને સહજ છે કે,
"પાસા નાખે કઇંક જનો, પણ દાવ દેવો હરિ હાથ છે "
નિયતિના એ નિયમ મુજબ અંતે મારી દરખાસ્ત એટલે સ્વીકારાઈ,કારણકે ઈશ્વર આવનારા કપરા ચઢાણ,અને ગોવર્ધન પર્વત જેવડી જવાબદારી ઉપાડવા માટે એક એવા લોખંડી મનોબળ, જબ્બર સહનશક્તિ, અતૂટ ધીરજ,અને અખૂટ હિંમત ધરાવતા ઈસમની શોધમાં હતો કે હરિ એ હરાવવા માટે જ આપેલ દાવમાં એ ઈસમ મક્ક્મતા, ખુદ્દારી,સ્વમાન,અને અડગ રહીને લડી શકે અને તે કારણે જ કળશ મારા ઉપર ઢોળાયો
એ દ્રશ્ય મને બરાબર યાદ છે કે જૂનાગઢના શ્રી માંગનાથ મહાદેવનાં જૂનું કલેવર ધરાવતા મંદિરની ઊંચી પરસાળમાં માંડવસોરના જમણવારે તકિયાવાળા પાટલા પાસે રંગીન રંગોળીઓ સજાવી હતી,અને વહેવાઈઓ પોતાનો ડાબો હાથ ગોઠણ ઉપર ટેકવી કોણી કાઢીને કેસરી કઢેલ દૂધના ગંજીયા પીતા હતા, બસ એજ,,,, હા,, બસ એ જ જગ્યાએ બરાબર લગ્ન દિવસના 121 મહિના પછી, લગ્ન દિનની જ તારીખ 13/06/1979 ના રોજ સફેદ બુંગણ પથરાયા અને ચાર સંતાનો(સૌથી મોટુ આઠ,અને સૌથી નાનું દોઢ વર્ષનુ) ને મૂકીને ફાની દુનિયા છોડી ગયેલી 32 વર્ષીય કોડભરી જીવનસંગીની ની પ્રાર્થનાસભા યોજાણી હતી.
જીવનની ઢળતી સંધ્યાના ધુંધળા પ્રકાશમાં જયારે એ ભૂતકાળ નજર સામે તરે ત્યારે સ્વાભાવિક રીતે બીજો કોઈ હોય તો એની આંખની પાંપણ ભીની થયા વિના રહેજ નહીં,પણ મારા તો આંસુ પણ હવે એવા સુકાઈ ગયા છે કે પડ્યા પછી જેમ માણસ ધૂળ ખંખેરીને ઉભો થઇ જાય એમ હું પણ હવે કઠોર અને પાષાણ હૃદયી થઈ ગયો છું.
કોલેજનો અભ્યાસ પૂરો કરી અભ્યાસ છોડ્યા પછી દશ વર્ષે તેણીને ફરી અભ્યાસ કરવાનો ઉત્સાહ જાગ્યો ત્યારે 1972 માં વસાવેલી સાયકલને લેડીઝ સાયકલમાં ફેરવવા માટે એની ફ્રેમ બદલાવી અને સાયકલ શીખવી,1976 માં B.Ed.નો અભ્યાસ કર્યો B.Ed.ની કક્ષાના ઇતિહાસનો વિષય એને માટે બિલ્કુલ નવો જ હતો. જ્યારે હું કોલેજમાં ઇતિહાસનો વિદ્યાર્થી રહી ચુક્યો હોવાને કારણે રોજ રાત્રે 10થી 1.00 વાગ્યા સુધી ઇતિહાસ ભણાવતો ભાવનગર યુનિવર્સીટીના ચીલાચાલુ ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવાને બદલે દિલ્હી યુનિવર્સીટીના ડો.શર્મા, પ્રો, મજમુદાર, અને પ્રો,મુખરજીના લખેલા ઇતિહાસનું ગુજરાતીમાં ભાષાંતર કરી એક વ્યવસાયી પ્રાધ્યાપકની જેમ નોટ્સ તૈયાર કરાવતો અને આ રીતે બેંકની હિસાબી નોકરી, નાના બાળકોની,અને સ્વતંત્ર ઘરની તમામ જવાબદારી સાથે સ્વર્ગસ્થની ઈચ્છા મુજબ B.Ed.નો અભ્યાસ પણ પૂરો કરાવ્યો
(એક આડ વાત,,,,,,કહેવાય છે કે અંગ્રેજો 13 તારીખને અપશુકનિયાળ માને છે. પરંતુ મારા જીવનના મોટાભાગના શુભાશુભ પ્રસંગો 13 તારીખેજ બન્યાનું યાદ છે.
* મારી જન્મતારીખ (23/11/42)નો સરવાળો 13.
*મારી નોકરીનો પહેલો દિવસ 13 જુલાઈ
*મારા લગ્નની તારીખ 13 મે
*જીવનસંગીની ની પ્રાર્થના સભા 13 જૂન
*મારા વડોદરાના આલીશાન મકાન નું વાસ્તુ 13,મે 2009.)
ભાવિના ગર્ભમાં શું છુપાયું છે એ તો ખુદ પરમેશ્વર પણ નથી પામી શક્યા તો પામર માનવીની શી વિસાત છે? બસ એજ સંઘર્ષ યાત્રા ચાલીશ વર્ષથી સતત શરૂ થઇ અને આજે પણ હજુ થોડા ઘણા પ્રમાણમાં ચાલુ જ છે.
હરિએ મને હંફાવ્યો, હરાવ્યો પણ હણ્યો નહીં તેણે મારો હાથ અને સાથ ન છોડ્યા હું હાર્યો પણ તૂટ્યો નહીં
જીવન એક નાટક છે, દુનિયાના રંગમંચ ઉપર દરેક પાત્રો પોતાનો નાનો મોટો પાઠ ભજવી રોલ પૂરો થયે રંગમંચ ખાલી કરી જતા રહે છે. હવે તો આ નાટકના નાયકનો રોલ પણ પૂરો થવામાં છે બસ,,, જિંદગીનું નાટક પૂરું થશે અને પરદો પડીજશે, ભવિષ્યમાં કદાચ પાત્રો યાદ નહીં રહે તો પણ નાયકની જવાંમર્દી, ખુદ્દારી, હિંમત અને ધીરજ બેશક કોઈને પ્રેરણારૂપ નીવડશે
હિરક જયંતીના આજના દિવસે સ્વાભાવિક દ્વિધા ઉદભવે કે,
"શું આપવું અભિનંદન કે આશ્વાસન ?"