Wednesday, 31 May 2023

હું જાઉં છું.

હું જાઉં છું. 

જૂનાગઢ જિલ્લાનું એક નાનું ગામ.

ખાધેપીધે સુખી એવા છ-સાત વિઘાની જમીનનો ધણી વેલજીભાઇ સુખી ગ્રામ્ય જીવન વિતાવતો હતો.એને એક માત્ર પુત્ર ભગવાનજી. એની ફઈએ નામ પાડ્યા પછી આજસુધીમાં કોઈ એ નામથી એને ઓળખતું જ નહોતું. ગામમાં, મિત્રોમાં અને ઘરમાં પણ એને  ભગા નામથી જ બધા ઓળખતા.નિશાળે ભણવા બેસાર્યો ત્યારે શાળાના રજીસ્ટરમાં ભલે ભગવાનજી  લખાયું હોય પણ શિક્ષકો અને સહાધ્યાયીઓ પણ તેને ભગા થી જ સંબોધિત કરતા હતા.

ભગો એના પિતાનું .એક માત્ર સંતાન અને વારસદાર હોવા કારણે બચપણથી લાડકોડમાં ઉછરેલો એટલે વધુ બેદરકાર અને ચાઇગલો પણ હતો.

મા-બાપ સંસ્કાર અને કેળવણી આપે તો ખરા પણ સંતાનની ગ્રહણ કરવાની અનિચ્છા અને અણઆવડતને હિસાબે મોટી ઉમર સુધી સંતાન અવ્યવહારુ અને આવડત વિનાના જ રહે છે.અહીં પણ એવું જ થયું.આઠ ધોરણમાં નાપાસ થઈને શાળા છોડી દીધા પછી ભગો બાપના ખેતરમાં મજૂરી કરી દિવસ કાઢતો. કેટલીકવાર વ્યક્તિના જીવનમાં સંગ અને સોબતની અસર ઘેરી પડતી હોય છે એ કારણે એના મિત્રો.પણ એની જેવા જ  ચોવીસ કલાક કાચી સોપારી, જાડો ચૂનો અને 135ની તમાકુનો માવો મોઢામાં ભર્યો જ હોય.

ઉંમર લાયક થતાં એના લગ્ન થયા.ઘરની જવાબદારી ઉપાડવાની શક્તિ અને સમજણ,સાથે વ્યવહારિક બુદ્ધિ નો અભાવ તો પહેલેથી જ હતો  પણ ઈશ્વર કૃપાથી પત્ની સંસ્કારી સુશીલ, સમજુ, ઘરરખ્ખુ અને ડાહી હોવાથી વેલજીભાઇ નિશ્ચિન્ત હતા. છતાં પોતે જાણતા તો હતા જ કે ગધેડાની ડોકે હીરો બંધાઈ ગયો છે.

ભગો આઠ ધોરણ નાપાસ હતો જયારે પત્ની જયા દશ ધોરણ પાસ હતી.આમ પત્નીની આવડત, સમજદારી અને વ્યવહાર કુશળતાને કારણે ભગાનો ઘર સંસાર સુલેખાઈથી ચાલ્યો જતો હતો. સમયાંતરે ભગાને ઘેર પુત્રીનો જન્મ થયો.અને ભગો બાપ બન્યો.

******

વર્ષોના વહાણાં વીતતા ગયા. ભગાની પુત્રી રતન અભ્યાસમાં તેજસ્વી, અને ચાલાક હતી. ગામની શાળામાં હંમેશા તેનો નંબર અવ્વલ રહેતો.હવે તે દસ ધોરણ પાસ કરી ચુકી હતી. આગળ અભ્યાસની સુવિધા નાના ગામની શાળામાં ન હોવાથી એક દિવસ જયાએ ભગાને કહ્યું.

" આપણી રતન આ વર્ષે દસમું ધોરણ પાસ થઇ ગઈ છે, મારી ઈચ્છા એને આગળ અભ્યાસ  કરાવવાની છે, દીકરી સમજુ, ડાહી અને અભ્યાસમાં હોશિયાર છે પછી એનું ભવિષ્ય આપણે શા માટે બગાડવું ?મારા નસીબે મારા બાપની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી  હું તો આગળ ભણી ન શકી અને બાપે વળાવી એ વર-ઘરને વિધાતાના લેખ સમજી સ્વીકારી લીધું.પણ રતન નું ભવિષ્ય સુધરે અને કોઈ સારા ભણેલ ગણેલ અને સંસ્કારી પાત્રને વરે એવી મારી ઈચ્છા છે."

મોઢામાં રહેલો માવો ચુસતા  ભગો બોલ્યો " તો શું ? તું શું કહેવા માંગે છે ?"  

જયાએ  જવાબ વાળ્યો " હું એમ કહું છું કે આપણે જ્યાં કોલેજ સુધીની સગવડતા હોય એવા નજીકના મોટા ગામમાં જઈને વસવાટ કરીએ તમને પણ તમારા લાયક કામ ધંધો મળી રહેશે. જરૂર પડે હું પણ દિવસ રાત પારકા ઘરના કામ કરી આપણે રોડવશું અને રતનને આગળ ભણાવશું "

" ઈ માં મને કાંઈ હમજ ન પડે, તારે જી કહેવું હોય ઈ બાપાને કહેજે અને જો બાપા હા પાડે તો મને વાંધો નથી " મોઢામાં ભરેલો માવો થૂંકતા ભગાએ જવાબ આપ્યો.

એ જ દિવસે રાત્રે જયા એ ભગાની હાજરીમાં જ શ્વસુર સવજીભાઈને સમજાવીને વાત કરી.સવજીભાઈને જયાની વાત ગમી સાથે એવું પણ વિચાર્યું કે આવડી ઉમર સુધી ભગો બાપની છત્ર છાયામાં બેઠો હોવાથી કોઈ વ્યવહારિક બુદ્ધિ નથી, નથી કોઈ સારા મિત્રો, બહાર નીકળશે તો થોડો ઘડાઈ-ટીચાઈને માણસ  બનશે પાંચ માણસના સહવાસમાં આવશે તો બોલવાથી માંડીને એનામાં સુધારો થશે,બાકી જયા ભેળી છે એટલે કોઈ ચિંતા નથી. એ વિચારે સવજીભાઈએ સંમતિ આપતા કહ્યું કે " દીકરી, વાત તો તારી સાચી છે. તારો આ વિચાર મને ગમ્યો આજકાલ આપણી  દીકરીયુંને શિક્ષણ અને કેળવણી આપવા જો સરકાર આટલો લખલૂટ ખર્ચ કરીને શિક્ષણનો પ્રચાર અને વ્યવસ્થા કરતી હોય તો આ તો આપણું લોહી જ છે ? શિક્ષણ એ જ દીકરીને આપેલો સાચો દાયજો છે. ભગાને પણ  ત્યાં એના જોગું  જીણું મોટું કામ મળી રહેશે. સવજીભાઈની સંમતિથી જયા ખુશ ખુશ થઇ ગઈ.

******

શાળામાં રજાના દિવસો પુરા થયા.વેકેશન ખુલતાં ભગો અને પત્ની નજીકના જૂનાગઢ શહેરમાં જઇ સ્થિર થયા.

એક રૂમ રસોડાનું નાનું ઘર ભાડે રાખી દીકરી રતનને સરકારી શાળામાં દાખલ કરી દીધી.વેલજીભાઈના બચપણના મિત્ર અર્જુન પટેલ માર્કેટિંગ યાર્ડના હોદેદાર હોય એની ભલામણથી ભગાને માસિક રૂપિયા નવ હજારના પગારથી ચોકીદાર તરીકે નોકરી પણ મળી ગઈ. ઘરભાડાના ચાર હજાર પછી ઘરખર્ચ કાઢવો મુશ્કેલ હોય, જયાએ આજુબાજુના ઘરમાં ઘરકામ શોધી લીધું.ફુરસદના સમયમાં સ્થાનિક અગરબત્તીના ઉત્પાદક  પાસેથી અગરબત્તી લઇ આવી બોક્સ પેકીંગ કરવું, મીણબત્તીના પેકીંગ બનાવવા, વિગેરે વિવિધ પ્રવૃત્તિથી કમાણી કરવી શરુ કરી.

જેટલી ભગાની બેરુખી, અને બે જવાબદારી એટલું જ જયાનું સમર્પણ. અત્યાર સુધી ગામડામાં રહેલો ભગો હવે શહેરમાં આવ્યો. દેખાદેખીમાં પહેલા પગારમાંથી એન્ડ્રોઈ મોબાઈલ લીધો. ભગો સવારે છ થી બપોરના ત્રણ


સુધી નોકરી કરી, ઘેર આવી જમીને માવો ચુસતો સાંજ સુધી મોબાઈલ ઉપર ફિલ્મી ગીતો અને ચલચિત્રો જોતા પડ્યો રહેતો સાંજે તૈયાર થઇ, માવો મોઢામાં નાખી મિત્રો સાથે ગામગપાટા મારવા નીકળી પડતો તે રાત્રે અગિયાર વાગે સુવા પૂરતો ઘેર આવતો. ઘરમાંથી નીકળે એટલે દરવાજાનું બારણું જોરથી બંધ કરતા "હું જાઉં છું" એમ બોલતો જાય.ઘરની જરૂરિયાત, નાના મોટા કંઈ કામકાજની પૂછપરછ, કે પત્નીને મદદરૂપ થવાનું તો એના સ્વભાવમાં જ ન હોતું  આમ આખો દિવસ ઘરની બહાર રહેતા દિવસમાં અનેકવાર બોલાતું  ભગાનું "હું જાઉં છું " જયાને શૂળની જેમ ભોંકાતું હતું.

આ બાજુ જયા વહેલી સવારે નોકરીએ જતા ભગા માટે ચા-નાસ્તો બનાવી, ઘરની સાફસફાઈ કરી, પૂજા કર્યા બાદ આજુબાજુની દુકાનમાં પીવાનું પાણી ભરવા,તથા અન્ય ઘરના કામ કરવા નીકળી પડતી. બપોરના બે વાગ્યા સુધી સતત બહારના કામ કર્યા પછી, ઘરની રસોઈ બનાવે.બપોરે ત્રણ વાગે ભગો આવે ત્યારે ગરમ રસોઈએ બાપ-દીકરીને જમાડ્યા પછી વધ્યું ઘટ્યું ખાઈ પેટની ભૂખ ઠારે. સાંજે પણ મોડી રાત સુધી અગરબત્તી-મીણબત્તીના પેકીંગ બનાવીને થાકે એ વખતે ભગો ઘેર આવે. જયાને ભગાનું આ વર્તન બિલકુલ પસંદ ન હતું જયારે પોતે પરિવાર માટે તૂટી મરતી હોય ત્યારે ઘરના ધણીની બેદરકારી અને પરિવાર પ્રત્યેની બેવફાઈ કેવી રીતે ચલાવી લેવાય ? છતાં દીકરીનું ભવિષ્ય સુધારવાના હેતુથી મૂંગે મોઢે જયા આ બધું સહન કરે જતી હતી અને આમને આમ રતન બી.કોમ.સુધી પહોંચી ગઈ.   

******

આજે રતનનું બી.કોમ.નું પરિણામ આવ્યું. રતન પ્રથમ વર્ગમાં કોલેજ અને કેન્દ્રમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થઇ.કાદવમાં કમળ ખીલ્યાથી જયાની છાતી ગજ ગજ ફુલતી હતી.ભગો તો નિત્યક્રમ પ્રમાણે નોકરીએ જવા નીકળી ગયો હતો.રતન કોલેજેથી પોતાનું ગુણપત્રક સાથે પરિણામ લઈને ઘેર આવી.માતા જયાને પગે લાગી, ત્યારે જયાએ પાઇ પાઇ કરીને બચાવેલ રૂપિયા સો રતનના હાથમાં આપતા ગળે લગાવીને રડી પડી, આજે ખુદની મહેનતથી પોતાનું સ્વપ્ન પૂરું થતાં મા-દીકરી એક બીજાને ભેટી ખુબ રડ્યા.પોતાનું પરિણામ ગામડે દાદાને બતાવી પગે લાગીને અને આશીર્વાદ મેળવી આવવાનું જયાએ રતનને કહ્યું એ મુજબ રતન દાદાને પગે લાગવા ગામડે જવા નીકળી પડી.

*****

બપોરે ભગો નોકરીએથી આવતા જયા અને ભગો સાથે જમવા બેઠા. જમતા જમતા જયાએ રતનના પરિણામ વિષે ઉત્સાહભેર જણાવતા કહ્યું " આજે આપણી રતને આપણા કુટુંબનું ગૌરવ વધાર્યું છે. આપણી ચાર પેઢીમાં એ પહેલી જ એવી છે જેણે કોલેજ પાસ કરી .મેં એને દાદાને પગે લાગવા આજે ગામડે મોકલી છે રાત સુધીમાં પાછી ફરી જશે.રાતે ઘેર આવે અને તમને પગે લાગે ત્યારે એના હાથમાં કંઈક આપજો. બાળક છે  રાજી થશે  "

ભગો બરાડ્યો " પાસ થઈ ઈમા કઈ મોથ મારી એની જેવા ઘણા પાસ થ્યા હશે. ઈમાં  હાથમાં શું મુકવાનું ? પૈસા રેઢા પડ્યા છે ? આંઈ ખિસ્સા ખર્ચી કાયમ ખૂટતી હોય માવો ખાવાના પૂરતા પૈસા નથી ન્યાં એને આપવા પૈસા ક્યાંથી કાઢવા ?

અત્યાર સુધી મૂંગે મોઢે સહન કરતી આવતી જયાએ કહ્યું "આ કોઈ નાની પરીક્ષા નથી.હવે નોકરીએ લાગશે અને ઘરમાં પૈસો આવશે ઈ કેવો મીઠો લાગશે ? આજસુધી મેં જાત તોડીને રતનને ભણાવી છે એની ફી,ચોપડા, ટ્યુશન ફી, વિગેરેની કોઈ દિવસ ચિંતા કરી,? કે પૂછ્યું કે એની જોગવાઈ કઈ રીતે થાય છે ?વારેવારે ડેલી ભટકાડીને હું જાઉં છું એમ કહી,વગર કામે પણ ગામમાં ભટક્યા કરો છો ઘરની જરાયે ચિંતા કે દરકાર કરી નથી."

જયાના વેણ સાંભળી ભગાનો પારો છટક્યો. જમવા બેઠેલી જયાને એક લાફો ખેંચી કાઢી,અધૂરે ભાણે હાથ ધોઈને ઉભો થઇ ગયો. કપડાં બદલી  આદત મુજબ ડેલી ભટકાવતા  "હું જાઉં છું " કહીને ખરા બપોરે ઘર બહાર નીકળી ગયો.

સહનશક્તિની પણ હદ હોય છે.ચંદન કે જેની પ્રકૃતિ જ શીતળ છે એનું વૃક્ષ પણ વધુ પડતા ઘર્ષણમાં આવે ત્યારે દાવાનળ ઉભો કરે છે. ભગવાને  સ્ત્રીમાં ઠાંસી ઠાંસીને સહનશક્તિ ભરી છે સાથોસાથ જયારે સહનશક્તિ એની પરાકાષ્ટા વટાવે ત્યારે એ જ સ્ત્રી રૌદ્ર રૂપ પણ ધારણ કરી શકે છે..જયાથી હવે રહેવાયું નહિ. સંતાન માટે આપેલ ભોગનો આવો બદલો મળતા ચોધાર આંસુએ રડવા લાગી. ગુસ્સા અને આવેશની એક ક્ષણ એના ઉપર હાવી થઇ ગઈ. ગુસ્સાના કારણ કરતાં પરિણામ ઘણું ભયંકર હોય છે એ ન્યાયે પોતે ઉભી થઇ રસોડામાં જઈને કબાટમાંથી ઘઉંમાં નાખવાની પારાની એક સાથે ત્રણ-ચાર ગોળી ગળી ગઈ..,

*****

દિવસ આથમે દાદાને ઘેરથી રતન પાછી ફરી. ઘરમાં પ્રવેશતાં જ નીચે જમીન ઉપર પડેલો  જયાનો નિષ્પ્રાણ દેહ જોયો એના મોઢામાંથી ફીણ નીકળી પડ્યું હતું.  તેના મૃત દેહ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી, લખ્યું હતું 

" હું જાઉં છું ".

*****

જયાના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે ગામડે વતનમાં લઈ જવાયો.નાના એવા ગામમાં વાયુવેગે વાત પ્રસરતા ગામ હીબકે ચડ્યું. ભલે અલ્પ શિક્ષિત પણ સંસ્કાર, ખાનદાની,અને મીઠા સ્વભાવને કારણે એ ગામમાં લોકપ્રિય હતી.સ્મશાનયાત્રામાં ગામના પુરુષોતો ઠીક પણ સ્ત્રીઓ પણ જોડાઈ કે જે સામાન્ય રીતે ગામડાના સામાજિક  રીતરિવાજથી બિલકુલ વિપરીત હતું એ જયાની લોકપ્રિયતાનું પ્રતિબીંબ હતું.

અગ્નિસંસ્કાર સમયે દીકરી રતન બોલી "મારી મા ને મુખાગ્નિ હું જ આપીશ,જો હું આગળ અભ્યાસ કરવા શહેરમાં ભણવા ન ગઈ હોત તો મેં આજે મા ની છત્ર છાંયા ગુમાવી ન હોત મને ઉજળી બનાવવા પોતે ઘસાઈ ગઈ આજે હું એને મારા હાથે મુખાગ્નિ આપી એના ઋણમાંથી મુક્ત થઈશ." રતનના આ વાક્યને સાંભળતા વેલજીભાઈ સહીત હાજર સ્ત્રી-પુરુષોની આંખમાં પાણી છલકાયા.રતને મા ના નિશ્ચેતન દેહને મુખાગ્નિ  આપ્યો.  શૂન્યમનસ્ક ભગો ખૂણામાં ઉભી આંસુ સારતો હતો. રથના બે પૈડાં જયારે એક સરખા નથી હોતા ત્યારે સિમેન્ટના રસ્તા ઉપર પણ ગાડું ગબડી પડે છે.

અગરબત્તી તો બળીને રાખ થઇ ગઈ પણ ચોમેર સુવાસ પ્રસરાવતી ગઈ.  


******







Monday, 15 May 2023

जो लौटके घर न आए ..

जो लौटके घर न आए !

ગુજરાતના એક નાના ગામની વાત છે.ગામની  બહુ  જ થોડી વસ્તી.અને મોટાભાગના વ્યવસાયે ખેતી કરતા ખેડૂત.ગામમાં સવજીભાઈ નામે એક ખેડૂત. ત્રણ વીઘા જમીનમાં ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. સવજીભાઈને પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરા હતા. મોટો દીકરો દેવવ્રત,અને નાનો ગોવિંદ,બન્ને અભ્યાસમાં તેજસ્વી,અને ઘણા હોશિયાર હતા. ગામમાં પ્રાથમિક શાળાથી આગળ અભ્યાસની સુવિધા ન હોય દેવવ્રત નજીકના ગામે ભણવા જતો. એ જ શાળામાં એની સાથે એના વર્ગમાં ભણતા યશપાલની સાથે મિત્રતા બંધાણી.સમાન સ્વભાવ,અને વિચારોને કારણે જતે દિવસે બંને વચ્ચે ગાઢ મિત્રતા જામી. યશપાલના પિતા છગનભાઇને ચાર વિઘાની ખેતી હતી તેને યશપાલ ઉપરાંત સવિતા નામે એક દીકરી હતી .                               સવજીભાઈની નબળી આર્થિક પરિસ્થિતિ અને પરિવારની જવાબદારીને કારણે દેવવ્રત  હોશિયાર હોવા છતાં બાર ધોરણથી આગળ અભ્યાસ ન કરતા ભારતીય સૈન્યમાં ફૌજી તરીકે ભરતી થવાનો વિચાર કર્યો આ વાત અને વિચાર દેવવ્રતે મિત્ર યશપાલને જણાવતા માતા-પિતાની સંમતિથી તેણે પણ પોતાનો વિચાર સૈન્યમાં ભરતી થવાનો કર્યો .આમ બન્ને મિત્રો બારમું ધોરણ પાસ કરીને ભારતીય સૈન્યમાં ફૌજી તરીકે ભરતી થઇ ગયા.                                                       તાલીમ પુરી કર્યા બાદ બન્નેનું પોસ્ટિંગ એક જ શહેરમાં અને એક જ ટ્રુપ અને રેજિમેન્ટમાં થતાં બંને મિત્રો ખુશ હતા.


આમને આમ વર્ષો વીતતા ગયા અને આતંકવાદીઓના અડ્ડા સમાન  કુપવારા, બારામુલ્લા,પૂંછ,અનંતનાગ અને પુલવામા જેવી જુદીજુદી જોખમી જગ્યાએ બદલી થતાં પોતાની સાહસિકતા અને બહાદુરીથી સૈન્યના અધિકારીઓ પણ દેવવ્રતથી પ્રભાવિત થઇ  ખુશ હતા.

 ***** 

 સવિતા ઉમર લાયક થતા છગનભાઇ એને માટે સુપાત્રની શોધમાં હતા. દેવવ્રત અને યશપાલ જોડે ભણતા હોવાથી એક બીજાને ઘેર આવવા-જવાનો તથા અન્યોઅન્ય પરિવારને પણ સારો સબંધ હતો. છગનભાઇને એક દિવસ વિચાર આવ્યો કે,અજાણ્યા પાત્ર,અને પરિવારને શોધવાને બદલે સવિતાનો સબંધ જો દેવવ્રત સાથે જ નક્કી કરીએ તો છોકરો સારો,સાદો-સીધો,અને નિર્વ્યસની છે. કુટુંબ પણ ખાનદાન. આવા વિચાર સાથે તેણે દેવવ્રતના પિતા સવજીભાઈનો સંપર્ક કરી પોતાનો  વિચાર જણાવ્યો.                                                                                                                 છગનભાઇની દરખાસ્તથી સવજીભાઈ ખુશ ખુશ થઇ ગયા અને એ દરખાસ્ત સ્વીકારતા કહ્યું કે, "તમારી દરખાસ્ત અમને તો મંજુર છે પણ દેવવ્રતના અંગત જીવનનો પ્રશ્ન હોય તેને પૂછીને આપણે વાત આગળ ચલાવીએ બાકી દીકરી અને કુટુંબ થી અમે પરિચિત છીએ દીકરીની   સંસ્કારિતા વિષે પણ બે મત નથી  "                                                                                                     "તમારી વાત સાચી છે. ભેગું રહેવું અને જીવવું એ લોકોને છે એટલે એનો મત જાણ્યા વિના આગળ ન વધાય.આમ તો મારે પણ યશપાલને જાણ કરવી પડે,પણ તમારા તરફથી જવાબ મળ્યા પછી એને હું આગળ વાત કરું એમ મેં વિચાર્યું છે" છગનભાઈએ વળતો જવાબ આપતા કહ્યું.                                                                                                                                      થોડા દિવસ પછી સવજીભાઈએ દેવવ્રતને ફોન ઉપર વિગતે વાત કરી. દેવવ્રતે જવાબમાં કહ્યું કે "ગઈકાલે જ યશપાલે આ વિષે વાત કરી. મને આ સંબંધમાં કોઈ વાંધો નથી તમે ખુશીથી વાત આગળ ચલાવો"  દેવવ્રતની મંજૂરી આવ્યા બાદ સવજી ભાઈએ છગનભાઇને ઘેર બોલાવી દેવવ્રતની સંમતિ જણાવી અને બન્ને પક્ષે નક્કી કર્યું કે આવતા અઠવાડિયે સારું મુહર્ત  જોઈ આપણે ગોળ-ધાણા ખાઈ શ્રીફળ આપ્યાનું મુહૂર્ત કરી લઈએ, અને બે એક મહિના પછી દેવવ્રત અને યશપાલની રજાની અનુકૂળતા મુજબ વિધિવ્રત સગાઇ  અને લગ્ન બન્ને સાથે જ કરી નાખીએ જેથી લશ્કરમાંથી રજા લઈને વારે વારે આવવું ન પડે.                                                               નિયત દિવસ આવી પહોંચતા છગનભાઇ પરિવાર સવજીભાઈને ઘેર આવી,દેવવ્રતના ફોટાને ચાંદલો કરી શ્રીફળ અને સાકરનો પડો આપીને અધિકૃત રીતે સગાઇ જાહેર કરી દીધી .બન્ને પરિવાર ખુશ-ખુશાલ હતા.                                                                                                          દેવવ્રત સાથે ફોન ઉપર આશીર્વાદ સાથે અભિનંદન આપતા સવજીભાઈએ લગ્ન માટેની  અનુકૂળતા પૂછતાં દેવવ્રતે જણાવ્યું કે, "મારી તથા યશપાલની હાલ પુલવામાં ખાતે ડ્યુટી છે આ વિસ્તાર અતિ સંવેદન શીલ હોય હાલ તુરત તો અમને બન્નેને રજા મળવી અસંભવ છે પણ થોડા સમય પછી કદાચ અહીંથી અન્યત્ર ફરજ ઉપર મુકવામાં આવશે એ દરમિયાન અમને વધુમાં વધુ એક મહિનાની રજા મળી શકે એ માટે હું અત્યારથી આયોજન શરુ કરી દઈશ."                              દિવસો વીતતા ચાલ્યા.સવજીભાઈ લગ્નની આગોતરી તૈયારી ધીમે ધીમે કરવા મંડ્યા એટલાજ ઉત્સાહથી છગનભાઇ એક જ દીકરી હોય તેને કન્યાદાન આપવા અને દીકરીના વ્યવહારની ખરીદી હોશ ભેર શરુ કરી દીધી. હવે રાહ માત્ર દેવવ્રત અને યશપાલની રજા મંજુર થયે  આવવની હતી જેને માત્ર એક મહિનો જ બાકી હતો.                                                      *******                                                                                      પુલવામાં -  આતંકવાદીઓના આત્મઘાતી હુમલા અને વિસ્ફોટક હુમલા માટે જમ્મુ-કાશ્મીરનો અતિ સંવેદનશીલ સહુથી જોખમી અને ખતરનાક  વિસ્તાર ગણવામાં આવે છે ત્યાં દેવવ્રત અને યશપાલ પોતાની ફરજ ઉપર હતા.કોઈ એક મધ્ય રાત્રીએ ફૌજીના તંબુઓ ઉપર અચાનક પથ્થરમારો શરુ થયો.દેવવ્રત અને યશપાલ સહીત અન્ય પાંચ જવાનો સાબદા થઇ પોતાના હથિયાર સાથે ટેન્ટની બહાર આવી જોતાં સામે સાત આતંકવાદીઓ હાથ બૉમ્બ સહિતના અદ્યતન હથિયારો સાથે અંધાધુધ ગોળીઓ ચલાવવા માંડ્યા. દેવવ્રતની ટુકડીએ સાતેય આતંકીઓને ઘેરી  લઇ મશીનગનથી ગોળીઓનો વરસાદ વરસાવવો શરુ કર્યો. દેવવ્રતે ટુકડીની આગેવાની લઇ સતત આગળ વધતો રહ્યો. પોતાની મશીનગનથી પાંચ આતંકીઓને એકલે હાથે ઢેર કરી મોતને ઘાટ ઉતાર્યા, બાકીના નાસી છૂટેલા બે આતંકીઓ નજીકની ખીણ પાસે છુપાઈ ગયા. હુમલાખોરોને પરાસ્ત કરી દેવવ્રતની ટુકડી જ્યાં પાછી ફરે છે ત્યાં ખીણમાં છુપાયેલા બે આતંકીઓએ ગોળીઓની રમઝટ બોલાવવી શરુ કરી પીઠ પાછળ વાર કર્યો. દેવવ્રત  જમીન ઉપર પડી જતાં એક પછી એક એમ ચાર ગોળી ધરબી દીધી.યશપાલ પગની ઇજા સાથે ઘવાયો. બાકીના ત્રણ ફૌજી ખીણના ભાગે સંતાઈ જતા આંતકીઓના ઓચિંતા હુમલામાંથી બચી ગયા. લોહીથી લથબથ થયેલ દેવવ્રતને તથા ઇજાગ્રસ્ત યશપાલને લશ્કરના દવાખાને ખસેડાયા અને બન્નેની સારવાર શરુ થઇ.જ્યાં દેવવ્રતની સ્થિતિ ગંભીર જણાતાં તાત્કાલિક શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી.પગથી ઈજાગ્રસ્ત હોવા છતાં યશપાલ સતત દેવવ્રતની બાજુમાં રહી એને હિંમત આપતો રહ્યો. તાત્કાલિક લોહીની જરૂર પડતા યશપાલે પોતાનું લોહી પણ આપ્યું.દેવવ્રતના પીઠ પાછળ ઘુસેલી ત્રણ ગોળી સફળ શસ્ત્રક્રિયા પછી શરીરમાંથી બહાર કાઢી પણ છાતીમાં વાગેલી ગોળી ઊંડે સુધી ફસાઈ ગયેલી હોય દેવવ્રત માટે જીવલેણ સાબિત થઇ. દેવવ્રતે હોસ્પિટલને બિછાને અંતિમ શ્વાસ લીધા.            લડાખના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા,અને જમીનથી 10597 ફૂટ ઊંચે, માઇનસ 45 ડિગ્રી ધરાવતા દ્રાસ (DRAS) જેવા નાના ગામમાં પણ દેવવ્રતે ફરજ બજાવી પોતાની સાહસિકતા, હિંમત અને બહાદુરીથી સૈન્યમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી તેથી એ રીતે તમામ અધિકારીઓનો લાડકો અને પ્રિય બન્યો હતો એ દેવવ્રતને  નિષ્પ્રાણ સૂતેલો જોઈ અધિકારીઓ હચમચી ઉઠ્યા.યશપાલ પણ બનેવીની લોહી નીંગળતી લાશ જોઈ બેભાન થઇ ગયો          મળસકુ થવાની તૈયારી હતી.સુર્યદેવ વાદળો પાછળ સંતાઈ ગયા પોતાની છાતી ફાડીને ચીસ પાડતું  હોય એમ મોટા અવાજ સાથે ગગન ગાજ્યું વીજળીના લિસોટા ઝબુક્યા સ્વર્ગના દેવતાઓ વીર શહિદને અશ્રુ અંજલિ આપતા હોય એમ ધીમીધારે વરસાદ શરુ થયો વાતાવરણમાં ઉદાસી અને ગમગીની છવાઈ ગઈ. ગણતરીના દિવસોમાં જેના હાથ પીળા થઇ કોઈ કોડીલી કન્યાનો વર બની વરવાનો હતો એ યુવાન વર બન્યા પહેલાં વીર બની શહાદતને વર્યો. જેની પીઠે પીઠી ચોળાવાની હતી એ પીઠ રક્ત રંજીત બની ગઈ.

સૈન્યની બધી જ અધિકૃત કાનૂની કાર્યવાહી અને વિધિ કર્યા બાદ લશ્કરના જવાનોએ પાર્થિવ દેહને રાષ્ટ્રીય સન્માન સાથે સલામી આપી રાષ્ટ્રધ્વજથી લપેટી નશ્વર દેહને કોફીનમાં મૂકી દેવવ્રતના વતન પહોંચાડવાની તૈયારી કરી. નિષ્પ્રાણ દેહ વતનમાં પહોંચે એ પહેલા યશપાલ અગાઉથી બન્ને પરિવારને આ માઠા સમાચાર સાથે દિલસોજી આપવા પહોંચી ગયો.યશપાલના પિતા છગન ભાઈ પોકે પોકે રડ્યા .છગનભાઈની ઉત્સાહ ભરી બધી તૈયારી કુદરતે એક જ વાવાઝોડામાં વીખી નાખી. દીકરી સવિતા પણ છાને ખૂણે આંસુ સારતી રહી. ગણતરીના દિવસોમાં જે ઉમંગથી પોતાના લગ્ન પ્રસંગે દેવવ્રત ઘેર આવવાનો હતો એને બદલે રજા મંજુર થયાના દસ  દિવસ અગાઉ દેવવ્રતનો પાર્થિવ દેહ વતન ખાતે આવી પહોંચ્યો. 

        આઠ વર્ષની ઉંમરે શેરીમાં ગિલ્લી-દંડે રમતો ,દશવર્ષની ઉંમરે ક્રિકેટ રમતો, શાળાકીય ઉનાળુ વેકેશનમાં ગામને પાદરે આવેલી નદીમાં ધુબાકા મારતો, સમવયસ્ક મિત્રો સાથે આંબલી-પીપળી રમતો ગામનો લાડકો દેવો આજે વીર શહિદ દેવવ્રત રૂપે ગામની ભાગોળે આવી પહોંચ્યો. ગામને પાદરે આવેલ લશ્કરની મોટી ટ્રકમાં ફૂલહાર, અને અબીલ ગુલાલથી લદાયેલ રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલ મૃતદેહના દર્શન કરવા આજુબાજુના નાના ગામના લોકો ઉમટી પડ્યા, જિલ્લાના પોલીસ વડા, સિવિલ સર્જન, ન્યાયાધીશ, જિલ્લા કલેકટર, ઉપરાંત ધારાસભ્ય, અને રાજ્યના ગૃહમંત્રી સહિતના કાફલાથી નાના ગામના ધૂળિયા રસ્તા ધમધમી ઉઠ્યા.સૈકાઓ સુધી જે ગામમાં એકસાથે  અજાણ્યા પચીશ માણસો દેખાયા નહોતા  એ ગામમાં આજે બે થી અઢી હજારનું માનવ મહેરામણ ઉમટી પડ્યું.નાનાગામની જર્જરિત દીવાલો ઉપર "શહિદ દેવવ્રત અમર રહો " દેશના પનોતાપુત્રને હાર્દિક શ્રદ્ધાંજલિ " લખેલા જુદા જુદા બેનરો મુકાયા હતા. અશ્રુભીની આંખે હજારો માણસોએ શહિદ દેવવ્રતના  નિશ્ચેતન દેહ પર પુષ્પવૃષ્ટિ કરી. ગામની બજાર અને શાળાએ સ્વંયભૂ બંધ પાળ્યો 

 આઠને અઢાર મિનિટે લશ્કરના અધિકારીઓ અને જવાનોએ ઉંધી બંદૂક સાથે બ્યુગલની કરુણ સુરાવલી  વચ્ચે સલામી આપી. ઉપસ્થિત લોકો હીબકે ચડ્યા,વીર શહીદ દેવવ્રત અમર રહોનાં જયઘોષ સાથે દેવવ્રતના નાનાભાઈ ગોવિંદે પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યો. કઠણ કાળજાના સવજીભાઈની આંખમાંથી એક પણ ટીપું આંસુનું ન છલકાયું,દેશને માટે બલિદાન દઈ શહીદીને વરેલા પનોતા પુત્રની અર્થીને હાથ જોડીને ઉભેલા સવજીભાઈની આંખમાં ગૌરવ અને સ્વદેશાભિમાન ડોકાતું હતું. યશપાલ અને છગનભાઇ સજળ આંખે નિ:શબ્દ  જોઈ રહ્યા. 
******
સમયને કોઈ બાંધી શક્યું છે ? દિવસ પછી દિવસ વીતવા મંડ્યા.
દેવવ્રતની અને સવિતાની સગાઇ-લગ્ન એક સ્વપ્નું બની ગયું.તેમ છતાં છગનભાઈને ઉંમરલાયક દીકરી સવિતાની ચિંતા તો રહેતી હતી.એક દિવસ સવજીભાઈએ છગન ભાઈને સંદેશ મોકલી પોતાને ઘેર મળી જવા વિનંતી કરી. નિયત દિવસે છગનભાઇ સવજીભાઈને ઘેર આવી પહોંચ્યા .
વાતાવરણ ગંભીર બની ગયું. એવાંમાં સવજીભાઈએ વાત શરુ કરતા કહ્યું, "રજામાં દેવવ્રત આવે ત્યારે આપણે યોજેલ લગ્નમાં કુદરતના કોપથી આપણું બધું આયોજન ધૂળધાણી થઇ ગયું. ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ રહસ્ય આજ સુધી કોઈ જાણી નથી શક્યું બનાવ ઘણો માઠો  બની ગયો પણ જે માથે આવી પડ્યું છે એ સ્વીકાર્ય વિના છૂટકો નથી. દેવવ્રત પાછળની બધી જ ધાર્મિક વિધિ અમે સંપન્ન કરી લીધી છે. હવે વાત એવી છે કે જે સબંધ કુદરતને મંજુર ન હોતો એ ભલે ન થયો પણ દીકરી સવિતા માટે તમે બીજા મુરતિયાની તપાસમાં રહેજો અને વહેલી તકે એના હાથ પીળા કરો. સવિતા હવે અમારી પણ દીકરી છે  ભગવાને દીકરો લઈને અમારે જેની ખોટ  હતી એ  દીકરી અમને આપી."                                                આંખમાં આંસુની ધાર સાથે નીચું જોઈ સાંભળી રહેલ છગનભાઈએ મૌન તોડ્યું " સવજી ભાઈ,ઈશ્વરે જે ફેંસલો કર્યો છે એની પાછળ પણ કોઈ રહસ્ય હશે.જો લગ્ન પછી  તુરત જ આ માઠો બનાવ બન્યો હોત તો આપણી તો ઠીક પણ સવિતાની કઈ હાલત થઇ હોત ?"                              "વાત રહી બીજું પાત્ર શોધવાની તો,સવજીભાઈ અમે એક ખોરડું જોયા પછી બીજે ખોરડે નજર ફેરવતા નથી મેં અને સવિતાની મા એ સવિતાની આગોતરી સંમતિ લીધા પછી એવું વિચાર્યું છે કે  જો તમે મારી વિનંતી સ્વીકારો તો મારી દીકરી તમારે જ દરવાજે પોંખાય."                                  સવજી ભાઈએ પૂછ્યું "એટલે ? તમે શું સૂચવો છો એ મને સમજાયું નહિ "?                               "સવજીભાઈ,તમારો બીજો પુત્ર ગોવિંદ પણ દેવવ્રતનો નાનો ભાઈ છે,અમે વિચાર્યું છે કે સવિતાના લગ્ન ગોવિંદ સાથે થાય તો અમારે કોઈ બીજું ઘર જોવું નથી અમે ખેતર નહિ પણ ખોરડાની ખાનદાની જોઈ છે.જેમ ભગવાને તમને એક દીકરો લઈને એક દીકરી આપી, એમ ભગવાને અમને એક દીકરો ગુમાવીને બીજો દીકરો આપ્યો છે એમ સમજશું ."    
સવજીભાઈ,બોલ્યા, "જુઓ પટેલ, મેં ભલે એક દીકરો યુદ્ધભૂમિ પાર ગુમાવ્યો પણ હું બીજા પુત્ર ગોવિંદને પણ માભોમની રક્ષા માટે સૈન્યમાં જ મોકલવાનો છું. ગ્રજ્યુએટ થઇ ગયા પછી એ પોતે જ લશ્કરમાં જવા થનગની રહ્યો છે. આપણે જાણીએ છીએ કે મોટાભાગના ફૌજીની આંખ યુદ્ધભૂમિ ઉપર જ મીંચાય છે,માથે ફફન બાંધીને જ સરહદ ઉપર પોતાની ફરજ બજાવતા હોય છે  આજે જે દેવવ્રતનું થયું એ કાલે ગોવિંદનું પણ નહિ થાય એની શી ખાતરી ? એવા સંજોગોમાં તમે તમારી દીકરીનો સિંદૂર ભૂંસાતો જોઈ શકશો ? આ બનાવ પછીથી મને ઈશ્વર ઉપર હવે ભરોસો રહ્યો નથી તેથી આવા વિચારો આવે છે,                                                                                          છગનભાઈએ જવાબ આપ્યો "ભાઈ, જયારે તમે  દીકરીના સિંદૂર ભૂંસાવાની વાત કરો છો તો તમે સાંભળી લ્યો કે, આપણી નાત અને સમાજમાં આંતર જ્ઞાતિ લગ્ન થતા નથી ખેડૂતની દીકરી  ખેડૂતના દીકરાને જ પરણે છે એવા સંજોગોમાં નાતના એકસો વીસ વીઘા જમીનના એકના એક વારસદાર,અને મોટરગાડીમાં ફરતા યુવાનની સૌભાગ્યવતી બની રહેવા કરતા વીરગતિ પામેલ શહીદની વિધવા બનવું હું સારું ગણું છું, આવું જ બધા વિચારે તો બધા જ ફૌજીઓ કુંવારા જ રહે. મારે પણ યશપાલ સૈન્યમાં હોય શું એને કોઈ દીકરી નહીં આપે ?    
    સવજી ભાઈ બોલ્યા, " હું સમજુ છું કે દેવવ્રત દેશવાસીઓની રક્ષા કાજે શહિદ થયો છે.પોતાના પ્રાણ ગુમાવીને અસંખ્ય લોકોના પ્રાણ બચાવ્યા છે અને એ રીતે એનું જીવ્યું એ સાર્થક કરી ગયો છે. દેશ માટે મરી ફીટવાનું સૌભાગ્ય બહુ ઓછા લોકોને મળે છે."
"આયુષ્ય તો જન્મ સાથે જ નક્કી થયેલું હોય છે પછી ઘરના કે ખેતરના  ખાટલે પડીને મરવાને બદલે મા ભોમની રક્ષા કરતા સરહદ ઉપર દુશ્મનોની સાથે સામી છાતીએ લડતાં મરવું  શું ખોટું છે.દેવાની ભલે હયાતી ન રહી પણ ઇતિહાસના પાને શહીદની વીરગતિ કાયમી વંચાશે કદાચ ભાવિ પેઢી માટે ઉદાહરણ રૂપ બનશે. દેવો મર્યો નથી એ અમર થઇ ગયો છે," પોતાની વિનંતી સ્વીકારવા માટે હાથ જોડીને પગે લાગતા છગનભાઈને ઉભા કરી સવજીભાઈએ એને છાતી સરસા ચાંપી લેતા કહ્યું, " છગનભાઇ, મને તમારી દરખાસ્ત મંજુર છે. 
સવજીભાઈની આંખમાં આવેલ વેદનાના આંસુ હર્ષના આંસુમાં બદલાઈ  ગયા.
******

બે મહિનામાં લગ્નની બધી તૈયારી પછી ગોવિંદના લગ્ન સવિતા સાથે થયા.બંને પરિવાર ખુશખુશાલ હતા.                                                                                                                     લગ્નના બીજે જે દિવસે ભારતીય સંરક્ષણ ખાતા તરફથી  સવજીભાઈને એક પત્ર મળ્યો.
પત્રમાં લખ્યું હતું કે "પુલવામાં ખાતે દુશ્મનો સામે બાથ ભીડી એકસાથે પાંચ આતંકીઓને મોતને ઘાટ ઉતારવાના બહાદુરી ભર્યા પ્રદર્શનથી વીર શહિદ દેવવ્રતની શહાદત ઉપર ભારતીય સૈન્ય,તથા ભારત સરકાર ગૌરવ અનુભવે છે. ભારત સરકાર એની બહાદુરી ભરી સેવાની કદર રૂપે આગામી તારીખ 26,જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે એને મરણોત્તર સન્માનથી નવાજી શૌર્યચક્ર એનાયત કરવાનું ઠરાવ્યું હોય આ સમારંભમાં શહીદ દેવવ્રત વતી રાષ્ટ્રીય સન્માન સ્વીકારવા ઉપસ્થિત રહેવા વિનંતી છે.
*****

તારીખ 26, જાન્યુઆરીએ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે શહીદ દેવવ્રતને અપાયેલ મરણોત્તર સન્માન સાથે શૌર્ય ચક્રનો સવજીભાઈ તથા ગોવિંદે સ્વીકાર કર્યો. એ પ્રસંગે છગનભાઇ પરિવાર પણ ઉપસ્થિત રહ્યો. પોતાનો પ્રતિભાવ આપતા સવજીભાઈએ જાહેર કર્યું કે આજના દિવસે હું મારા બીજા પુત્ર ગોવિંદને પણ મા-ભોમની સેવા અને દેશની રક્ષા કરવા હું લશ્કરને સોંપુ છું  
ગંભીર વાતાવરણ વચ્ચે  રાષ્ટ્રના સર્વોચ્ચ વડા સહીત ઉપસ્થિત સહુ મહાનુભાવોએ ભીની આંખે તાળીઓના ગડ્ગડાટ સાથે સવજીભાઈને વધાવ્યા. છગનભાઈએ નવા જમાઈને અભિનંદન સાથે શુભેચ્છા રૂપે પુષ્પગુચ્છ આપ્યું. 
સવજીભાઈની એક આંખ રડતી હતી અને  બીજી  હસતી  હતી. 
******




 

.