Saturday, 8 March 2025

કેશોદ હાઈસ્કૂલ -એક યાદગીરી.

વાત છે 1936ની .
જૂનાગઢ થી 37 કિલો મીટર દૂર  નવાબી શાશન તાબાના જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની.           એ સમયે કેશોદ એક નાનું સૂનું ગામ હતું જ્યાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના અભાવે વિદ્યાર્થીઓ નજીકના 35 કી.મી.દૂર ચોરવાડ ગામે અભ્યાસ કરવા જતા હતા.કેશોદમાં એ સમયે સરકારી કચેરીઓ પણ બહુ જૂજ  હતી. કેશોદની મહદ વસ્તી રઘુવંશી સમાજની હોય મુખત્વે વેપાર એ મુખ્ય વ્યવસાય હતો. એ સિવાય ત્યાં ન કોઈ ઉદ્યોગ, કે ન કોઈ કારખાના.                          જૂનાગઢના નવાબે કેશોદમાં શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરાવવા નિર્ણય લીધો અને પરિણામ સ્વરૂપે એલ.કે,મિડલ સ્કૂલની સ્થાપના થઇ (1936).  નવાબ સાહેબના પદાધિકારી અને રાજ્યના શિક્ષણવિભાગના વડા મર્હુમ વલ્લી મોહંમદખાન બાબીના નેજા હેઠળ શાળાની સ્થાપના, તથા ઉદઘાટન અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી.અને નવાબ સાહેબની સંમતિથી કેશોદ મિડલ સ્કૂલનું ઉદ્ઘાટન ભારતના તે સમયના વાઇસરોય  લોર્ડ વિલિંગ્ડન (1931-1936) ના હસ્તે  કરાવવાનું નક્કી કરવામાં આવ્યું.                                                                                   કાર્યક્રમની રૂપરેખા ને આખરી ઓપ આપવા સમયે મુર્હુમ બાબી સાહેબને વિચાર આવ્યો કે, વાઇસરોય તો પોતાનું પ્રાસંગિક પ્રવર્ચન અંગ્રેજી ભાષામાં આપશે,  વાઇસરોય ગુજરાતી જાણતા નથી અને કેશોદની અર્ધ શિક્ષિત પ્રજા અંગ્રેજી સમજતી નથી તો વાઇસરૉયના એ પ્રવર્ચનનો અર્થ જ શું જયારે એકઠા થયેલ શ્રોતાઓ કશું જ સમજી ન શકે ? બહુ વિચારણા અંતે મુર્હુમ બાબી સાહેબે ઉકેલ શોધી કાઢ્યો અને સ્થાનિક બહાદુરખાનજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મર્હુમ સોલોમન સાહેબ ને કચેરીએ તેડાવી પૂછ્યું કે," કેશોદ હાઈસ્કૂલનું ઉદ્દઘાટન વાઈસરોયના હાથે કરવાનું હોય,અને તેઓ પોતાનું વક્તવ્ય અંગ્રેજીમાં આપવાના હોય, આપણી હાઈસ્કૂલમાં એવા કોઈ શિક્ષક છે  કે જે  યુરોપિયન ઇંગ્લિશની ઝડપે,અને એના ઉચ્ચારણો ને સમજી શબ્દશ: ભાષાંતર કરી ગ્રામ્ય શ્રોતાઓ સમજી શકે એવી ભાષામાં અસખલિત બોલી શકે ? એ શિક્ષકનું  અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષા ઉપર પ્રભુત્વ હોવું આવશ્યક છે  "                                                                           સોલોમન સાહેબે પ્રત્યુત્તરમાં  હકાર વાચક ડોકી હલાવતા કહ્યું "જી,આપણી શાળામાં એક યુવાન શિક્ષક છે,જે ફાંકડું અંગ્રેજી-ગુજરાતી જાણે છે,,જો એને તક આપવામાં આવશે તો મારી દ્રષ્ટિએ એ યોગ્ય પસંદગી ગણાશે,"                                                                                                                     "એવું નથી,તમે એને પૂછીને ખાતરી કરી લો કે એ આ જવાબદારી ઉઠાવી શકવા શક્ષમ છે ?પાછળથી કોઈ ફિયાસ્કો ન થાય એ જોવાની જવાબદારી  તમારી પણ રહેશે " બાબી સાહેબે પ્રિન્સિપાલને પણ બાંધી લેતા કહ્યું.                                                                                             " જી સર,હું પુરા આત્મવિશ્વાસથી કહું છું કે એ શિક્ષક સફળતાપૂર્વક અને સંતોષકારક ફરજ બજાવશે " એવી ખાતરી આપતા બાબી સાહેબે પૂછ્યું " કોણ છે એ શિક્ષક ?                            જવાબના સોલોમન સાહેબે કહ્યું, એ છે મી.વી.ડી.ઝાલા.આપણી શાળાના અંગ્રેજીનાં શિક્ષક,  જ્ઞાતિએ નાગર હોવા કારણે ભાષા અને ઉચ્ચારો પણ શુદ્ધ છે"
શાળાના ઉદ્ઘાટન નો દિવસ આવી પહોંચ્યો.સોલોમન સાહેબે સ્વ.પિતાશ્રીને પુરી વિગત સાથે ચોકસાઈ અને ચીવટથી જવાબદારી પાર પાડવાની  બાંહેધારી લઇ લીધી . 34 વર્ષના યુવાન શિક્ષક વી.ડી.ઝાલાએ ભરપૂર આત્મવિશ્વાસ સાથે ખાતરી પણ આપી દીધી.                                           એ મુજબ શાળાના ઉદ્ઘાટનની જાહેરાત પણ કરી દેવામાં આવી. કેશોદ, વેપારનું મથક, પોતાના વતનમાં એક શૈક્ષણિક સંસ્થા પહેલી જ વાર સ્થપાતી  હોય, ઉત્સાહ અને આનંદમા લોક ફાળો કરી ગામ શણગાર્યું ગામમાં ઠેર ઠેર સ્વાગત કમાનો ઉભી કરી, શાળાના મકાનને પણ  શણગાર્યું .ગામમાં આનંદ આનંદ છવાઈ ગયો,                                                                             નિશ્ચિત દિવસે  ભારતના સત્તરમાં વાઇસરોય લોર્ડ વિલિંગ્ડન કેશોદના હવાઈ મથકે ઉતર્યા.    ગામે ધામેધૂમે સ્વાગત કર્યું .ખુદ નવાબ સાહેબ અને એના પદાધિકારીઓએ પણ ઉમળકાથી સ્વાગત કરી શાળા તરફ હંકારી ગયા.શાળાના મેદાનમાં મંચ ગોઠવાયો .મેચના સમાંતરે બે ડાયસ ગોઠવાયા મંચની ડાબી બાજુના ડાયસે વાઇસરોય, અને જમણી બાજુના ડાયસ ઉપર વી.ડી.ઝાલા. ગોઠવાયા.વાઇસરૉયના વક્તવ્યની શરૂઆત થઇ, સાથોસાથ વી.ડી.ઝાલાએ એટલીજ ઝડપથી  ગ્રામ્ય પ્રજા સમજી શકે એ રીતે ભાષાંતર  કરતા ગયા.
કાર્યક્રમની પુર્ણાહુતી થતા નવાબ સાહેબે તથા  મર્હુમ બાબી સાહેબે વી.ડી. ઝાલાને અભિનંદન આપ્યા. 
એમની સફળ કામગીરીની ભેટ તરીકે, બીજે જ દિવસે વી.ડી.ઝાલાને કેશોદ મિડલ સ્કૂલના પહેલા પ્રિન્સિપાલ તરીકેની નિમણૂકનો ઓર્ડર મળ્યો,
આમ સ્વ.પિતાશ્રી 34 વર્ષની ઉંમરે કેશોદ મિડલ સ્કૂલના પહેલા આચાર્ય પદે  નિમાયા .ત્યારબાદ સતત ચોરવાડ, તથા ઉના હાઈસ્કૂલના આચાર્ય પદે બદલાતા રહ્યા. 
ઘણા વર્ષો બાદ મિડલ સ્કૂલ હાઈસ્કૂલમાં પરિવર્તિત થી એર પોર્ટ રોડ ઉપર નવા મકાનમાં ફેરવાઈ. 
લોર્ડ વિલિંગ્ડન ની જૂનાગઢ રાજ્યની આ છેલ્લી મુલાકાત હતી.1936ના એપ્રિલમાં તેઓ બદલાયા અને નવા વાઇસરોય તરીકે Lord Linlithgow (1936-1941) આવ્યા 
                                   

     



Saturday, 15 February 2025

 વૈધવ્ય -પોણા સૈકા પહેલાંનુ એક વરવું ચિત્ર.

"વૈદ્યવ્ય એ સ્ત્રી જાતિને વિના વાંક/ગુન્હાએ ઈશ્વરે આપેલી નિષ્ઠુર શિક્ષા છે"- વ્યોમેશ.ઝાલા
*****
આજે કોઈને ખ્યાલ પણ નહીં હોય કે આજથી પોણા સૈકા પહેલાં સમાજની વિધવા સ્ત્રીઓની શી દશા હતી.આજે હું નજરે જોયેલી અને અનુભવેલી એવી વિધવાની પીડા વર્ણવું છું.
નીચે આપેલી તસ્વીર મારા પૂજ્ય સ્વ.દાદી જન્મલક્ષ્મી (૧૮૮૧-૧૯૬૨)ની છે.પોતાની યુવાનીમાં તેઓ એટલા સ્વરૂપવાન હતા કે જ્ઞાતિમાં તેઓ ધોળીબેન થી ઓળખાતા હતા.પતિ સ્વ. દોલતરાય ઝાલા (૧૮૭૪-૧૯૪૯) જૂનાગઢ રાજ્યના નવાબી શાસન માં ઉચ્ચ હોદ્દા ઉપર હતા.૧૯૪૯ માં એમનું અવસાન થયું અને ગં.સ્વ.ધોળીબેને જીવતા સુધી કાળો સાડલો ઓઢી લીધો.એ સમયમાં વિધવાઓની દશા અતિ બદતર હતી ત્યારે એવો વિચાર આવે છે કે આવા અમાનુષીય, જડ અને અસ્વીકાર્ય એવા નીતિ-નિયમો કયા સમાજે બનાવ્યા હશે.?
જ્યાં સુધી સ્વર્ગસ્થ પતિનું વરસી વાળવામાં ન આવે ત્યાં સુધી જ્ઞાતિની મહિલાઓ સાંજે છ થી સાત વાગ્યા સુધી રોજ બેસવા આવે એ સમયે વિધવાએ ફરજીયાત રીતે ઘરના ખૂણામાં બેસવાનું જેને "ખૂણો પાળ્યો" કહેવાતું. વિધવાથી અરીસામાં મોઢું જોવાય નહિ. ઘરની બારી જાહેર રસ્તા ઉપર પડતી હોય એ બારી આડે મચ્છરદાની જેવી જીણી જાળી જડી દેવાઈ હતી જેથી રસ્તે ચાલતા રાહદારી વિધવાનો ચહેરો ન જોઈ Aશકે.૬૮ વર્ષની ઉંમરે વૈદ્યવ્ય ભોગવનાર મારા દાદીએ માથે મુંડન કરાવ્યું. પલંગ ઉપર સૂવું એ વૈભવ ગણાતો અને પલંગ તો સહશયન માટે જ હોય તેથી પલંગ ઉપર વિધવાનું સૂવું વર્જ્ય ગણાતું અને જમીન ઉપર પથારી પાથરીને સુતા. કોટનની બે કાળી સાડી જ એનો વસ્ત્રવૈભવ બન્યો.નાકમાં ચૂંક/ચુની નહિ,કાનમાં બુટ્ટી નહિ, કપાળે ચાંદલો નહિ,હાથમાં કાચના કંગનને બદલે માત્ર સોનાની બે બંગડી જ.પગમાં ચમ્પલ નહિ.
જ્યારે આભૂષણ જ સ્ત્રીઓનું ભૂષણ ગણાતું હોય એ વેળા સામાન્ય આભૂષણો પણ છીનવી લેવા એ કઈ માનવતા છે.
આ તો થઈ ૬૮ વર્ષની ઉંમરે વિધવા થયેલ મારા દાદીની વાત પણ એથી પણ કંપારી છૂટે એવી વિતક મારા સ્વ.કાકી સત્યભામાની છે.
સત્તર વર્ષની ઉંમરે સ્વ.કાકીના લગ્ન થયા ત્યારે બાવીશ વર્ષીય સ્વ.કાકા કૌસ્તુભરાય મુંબઈ ખાતે એમ.બીબી.એસ.નો અભ્યાસ કરતા હતા.લગ્નને માંડ ચાર વર્ષ થયાં હશે અને એમ.બી.બી.એસ ની ફાઇનલ પરીક્ષા આપીને સુખી લગ્નજીવનની શરૂઆત કરે તે પહેલાં જ આશાસ્પદ ડોકટર કૌસ્તુભરાય ભર યુવાનીમાં સ્વર્ગે સંચર્યા.આમ બાવીસ વર્ષની યુવાન વયે વિધવા થયેલ સ્વ.કાકીએ ભલે મુંડન ન કરાવ્યું પણ ચાલીશ વર્ષ પગમાં ચપ્પલ ન પહેરીને ઉપરોક્ત
કહેવાતા તમામ"વિધવા આચરણ" નું ચુસ્ત પાલન કર્યું.
વિચારો તો ખરા કે બાવીસ વર્ષીય યુવા સ્ત્રીનું જીવન પર્યન્ત કેટલું શોષણ થયું ?
સ્વાતિ લખે છે "વિધવા સ્ત્રીનું પતિ ગુમાવવાનું દુઃખ એના વર્તન, વાણી, આહાર કે પહેરવેશ પરથી કઈ રીતે નક્કી થઈ શકે? જે વાત સાંભળવા માત્રથી જ આપણા શરીરમાં કંપારી છૂટી જાય છે ત્યારે એ વ્યક્તિએ તો એનુ સર્વસ્વ ગુમાવી દેવા જેવી વાત છે એના મનની પીડા તમારા-મારા જેવા શું જાણી શકવાના?
જેનો પતિ અવસાન પામ્યો હોય, એ સ્ત્રીથી ઘરની બહાર ન નીકળાય,એનાથી સારા ઉઘડતા રંગના કપડા ન પહેરાય,હસીને ન બોલાય એ જાહેરમાં વાત ન કરી શકે, એનાથી સ્વાદિષ્ટ ભોજન ન જમાય એમાં ગળ્યું તો ખાસ નહીં, એને બધાથી પહેલા ઉઠીને ઠંડા પાણીથી જ નહાઈ લેવાનું અને ક્યાંક તો એવું પણ હોય છે કે વિધવા સ્ત્રી ચપ્પલ પણ ન પહેરી શકે. કેમ? તો કારણ માત્ર એટલું જ કે વર્ષોથી સમાજે વિધવા સ્ત્રીઓ માટે આવા નિયમો બનાવેલા છે અને જો આ નિયમો પાળવામાં સ્ત્રીથી ચૂક થાય તો એને બેશરમ, બિન્દાસ્ત, નફ્ફ્ટ, લાગણીહીન વગેરે જેવા શબ્દોથી સંબોધવામાં આવે છે. આવા વિશેષણોથી બિરદાવતા પહેલા કોઈ એ નથી કહેતું કે એ સ્ત્રી પણ પ્રથમતો એક માણસ જ છે..!
કોઈ સારા અવસરે વિધવા સ્ત્રી સામે મળવી કે એને કંકુવાળી આંગળી કરાવવી એ અપશુકન ગણાય, એવી અંધશ્રદ્ધા આજે પણ સમાજના ઘણા વર્ગમાં પ્રચલિત છે. કોઈ વિધવાને શુભ પ્રસંગે હાજર રહેતા અટકાવાતી હશે ત્યારે એને ચોક્કસ દુઃખ થતું જ હશે. આવી રૂઢી અને પરંપરાઓની સામે માનવતા હારી જતી દેખાય છે. એક દુઃખી સ્ત્રીને વધુ દુઃખી કરી સમાજ ક્યાં રીવાજો અને પ્રથાઓને ન્યાય આપી શકવાનો?
પતિની ગેરહાજરીમાં એને ઘર સાચવવાનું હોય છે, એને બાળકોની માતાની સાથે સાથે એમના પિતા પણ બનવાનું હોય છે, ઘર ચલાવવાની સાથે સાથે દરેકની જરૂરિયાતો પણ પૂરી કરવાની હોય છે જેમાં ક્યારેક એને પારિવારિક સમસ્યાઓ તેમજ નાણાકીય સમસ્યાઓનો સામનો પણ એકલા હાથે કરવો પડતો હોય છે. એને કુદરત તરફથી એવા દુઃખની ભેટ મળી છે જે એની જીંદગીમાં એ ક્યારેય ભૂલી શકવાની નથી. પણ જો એ દુઃખને થોડું હળવું કરવાની કોશિશ કરે તો પણ સમાજના લોકોને એ મંજૂર નથી.
જયારે એને ખરેખર લાગણી, હુંફ, સહાનુભુતિ અને સપોર્ટની જરૂર હોય છે તે વખતે લોકો એની ખામીઓ શોધવામાં રસ દાખવે છે. એ વિધવા સ્ત્રીની પણ ઈચ્છાઓ હશે, એની આંખોમાં પણ સપના વસતા હશે, એને પણ ઘણા શોખ થતા હશે, પોતાની આગવી પસંદ નાપસંદ હોતી હશે, પતિના શબને વળાવ્યા બાદ જયારે એને નવડાવવામાં આવે છે ત્યારે સિંદૂર અને શણગારની સાથે સાથે એના ઓરતા અને અભરખાં તેના તન-મનમાંથી આપોઆપ ઉતારી દેવામાં આવે છે. પતિના નામની સાથે સાથે એને હસતી રમતી જિંદગીના નામનું પણ નાહી નાંખવુ પડે છે. એક મરેલા માણસની પાછળ એક જીવતું માણસ રોજ મર્યા કરે. એના મનમાં પણ થતું હશે કે પોતે જે સજા ભોગવી રહી છે એમાં એનો દોષ શું છે? એજ ને કે એનો પતિ એના પહેલા અવસાન પામ્યો..?
એની સૌથી મોટી ભૂલ કે એ સ્ત્રી છે અને બીજી ભૂલ કે એનો પતિ મૃત્યુ પામ્યો છે?
ઘણી જગ્યાએ ક્રિયાકર્મમાં જઈએ તો પરિસ્થિતિ જોઈ પ્રશ્ન થઈ આવે કે ખરેખર મર્યું છે કોણ? ..ફૂલનો હાર ચડાવેલી છબીમાં છે એ પુરુષ કે છબીની બાજુમાં સફેદ કે કાળા કપડામાં વીંટાળીને લાચાર બનાવીને બેસાડેલી એક જીવતી લાશ?…"
No photo description available.
All reactions:
Desai Jagruti Ajitbhai Desai and 9 others